ગંભીર હૅપટાઇટિસ B એટલે એક ટૂંકા ગાળાનો ચેપ જે કોઈ વ્યક્તિને વાઇરસથી ચેપ લાગ્યા પછીના પ્રથમ 6 મહિનાની અંદર ઉદ્ભવે છે. આ ચેપમાં થોડા લક્ષણો સાથે અથવા લક્ષણ વગરની એક હળવી માંદગીથી લઈને એક હૉસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા ધરાવતી સ્થિતિ સુધીની ગંભીરતા હોઈ શકે છે.1
ક્રોનિક હૅપટાઇટિસ B એ હૅપટાઇટિસ B વાઇરસનો આજીવન ચેપ દર્શાવે છે. 90% જેટલા હૅપટાઇટિસ B વાઇરસનો ચેપ લાગેલ નવજાત શિશુમાં ક્રોનિક-જીર્ણ ચેપ વિકાસ પામશે. તેનાથી વિપરીત, આશરે 5% જેટલા પુખ્ત લોકોમાં ક્રોનિક હૅપટાઇટિસ B વિકસિત થશે. સમય જતાં, ક્રોનિક હૅપટાઇટિસ B ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં યકૃતને નુકસાન, સિરોસિસ, યકૃતના કેન્સર અને મૃત્યુનો પણ સમાવેશ થાય છે1
ભારતમાં હેપટાઇટિસ B નો ચેપ કેટલો સામાન્ય છે?
વૈશ્વિક સ્તરે, આશરે 240 મિલિયન લોકો હેપટાઇટિસ B વાઇરસ (HBV)થી ચેપગ્રસ્ત થયા છે. ભારતમાં આદિવાસી વસ્તીમાં ઊંચા વ્યાપ દર સાથે 3.0% જેટલો એચબીવીનો વાહક દર છે. ભારતમાં 1.25 અબજથી પણ વધુ વસ્તી સાથે, 37 મિલિયનથી વધુ એચબીવી વાહકો છે જેનો આ એચબીવી બોજામાં મોટા પ્રમાણમાં ફાળો છે.2
હૅપટાઇટિસ B શેના કારણે થાય છે?
હૅપટાઇટિસ B વાઇરસ હૅપટાઇટિસ B પેદા કરે છે હૅપટાઇટિસ B વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિના રક્ત, વીર્ય અથવા અન્ય શારીરિક પ્રવાહી સાથેના સંપર્ક દ્વારા ફેલાય છે. સંપર્ક આ રીતે થઈ શકે છે3
- હૅપટાઇટિસ B ધરાવતી માતા દ્વારા જન્મ લેવાથી
- ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અસુરક્ષિત સમાગમ કરવાથી
- ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ડ્રગની સોય અથવા અન્ય ડ્રગ સામગ્રી વહેંચવાથી
- ચેપગ્રસ્ત વ્યક્તિ પર વપરાયેલી સોય સાથે આકસ્મિક રીતે વાગવાથી
- ચેપગ્રસ્ત વ્યક્તિ પર ઉપયોગમાં લેવાયેલા સાધનો વડે છૂંદણાં છૂંદાવાથી કે વીંધાવાથી જે યોગ્ય રીતે જંતુરહિત કરેલ ન હોય, અથવા તમામ વાઇરસ અને અન્ય જીવાણુઓનો નાશ કરે તે રીતે સાફ કરવામાં આવેલ ન હોય.
- ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી અથવા ખુલ્લા ઘા સાથે સંપર્ક થવાથી
- ચેપગ્રસ્ત વ્યક્તિના રેઝર, ટૂથબ્રશ અથવા નેઇલ ક્લિપર્સનો ઉપયોગ કરવાથી
હૅપટાઇટિસ B ની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
તીવ્ર હૅપટાઇટિસ B ધરાવતા લોકો માટે, ડૉક્ટરો સામાન્ય રીતે આરામ કરવાની, પર્યાપ્ત પોષણ, પ્રવાહી અને ચુસ્ત તબીબી દેખરેખની ભલામણ કરે છે. કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. ક્રોનિક હૅપટાઇટિસ B સાથે જીવતા લોકોની યકૃતની સમસ્યાઓનું મૂલ્યાંકન થવું જોઈએ અને નિયમિત રીતે નિરીક્ષણ થવું જોઈએ. યકૃતની બીમારીની અસરોને ઓછી કરે અથવા અટકાવી શકે તેવી સારવાર ઉપલબ્ધ છે.1
મને હૅપટાઇટિસ B હોય તો મને કેવી રીતે ખબર પડશે?
આપના તબીબી અને પારિવારિક ઇતિહાસ, શારીરિક પરીક્ષણ અને રક્ત પરીક્ષણોના આધારે ડૉક્ટરો હૅપટાઇટિસ B નું નિદાન કરે છે. જો તમને હૅપટાઇટિસ B હોય, તો તમારા ડૉક્ટર તમારા યકૃતને તપાસવા માટે વધારાના પરીક્ષણો કરી શકે છે જેવા કે ક્ષણિક ઇલાસ્ટોગ્રાફી, તમારા યકૃતનો એક વિશિષ્ટ અલ્ટ્રાસાઉન્ડ અને યકૃતની બાયોપ્સી3
શું હૅપટાઇટિસ B રોકી શકાય?
હા, હૅપટાઇટિસ B અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે રસીકરણ મેળવવું. હૅપટાઇટિસ B રસી સામાન્ય રીતે 6 મહિનાની અવધિમાં 3 વખતની એક શ્રુંખલા તરીકે આપવામાં આવે છે. લાંબા ગાળાની સુરક્ષા માટે સમગ્ર શ્રુંખલા આવશ્યક છે.1
કૃપા કરીને નોંધ લેશો: તમારા ડૉક્ટર જ તમને માર્ગદર્શન આપવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આ શૈક્ષણિક પુસ્તિકામાંની માહિતી તમારા ડૉક્ટર દ્વારા આપવામાં આવતી તબીબી સલાહનો વિકલ્પ નથી. જો તમારી તબીબી સ્થિતિ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો હંમેશા તમારા ડૉક્ટર અથવા યોગ્ય આરોગ્ય પ્રદાતાને પૂછો.
અસ્વીકૃતિ:
અહીં પ્રસિદ્ધ કરેલ સામગ્રી માત્ર માહિતી માટે અને હૅપટાઇટિસ અંગેની જાણકારીમાં વધારો કરવાના હેતુસર જ છે. કોઈપણ ત્રાહિત પક્ષનો સંદર્ભ અને/અથવા તેની સાથે જોડાણ માયલાન દ્વારા કોઈ સમર્થન કે બાયંધરીનું સ્વરૂપ નથી લેતું. અહીં સમાવેલી માહિતી ચોક્કસ અને અદ્યતન છે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે તે છતાં, માયલાન અહીં પૂરી પાડેલી વિગત વાળી સામગ્રી થકી વહેંચવામાં આવી રહેલી કોઈપણ માહિતીની ચોકસાઇ માટે કોઈ જાહેરાત નથી કરતું કે જવાબદારી નથી લેતું, તેમજ અહીં પૂરી પાડેલી કોઈપણ માહિતીના ઉપયોગને કારણે નીપજતી કોઇ ક્ષતિ, ચૂક અથવા પરિણામો - કાનૂની કે અન્યથા, માટે તે જવાબદાર નહિ ઠેરવાય, તેમજ તેમાંથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારીનો તે સ્પષ્ટપણે ઇનકાર કરે છે.
હૅપટાઇટિસ વિશે વધુ જાણવા માટે તમારા તબીબની સલાહ લો. તમને માર્ગદર્શન આપવા માટે તમારા તબીબ શ્રેષ્ઠ વ્યક્તિ છે. અહીં પૂરી પાડેલી માહિતી તમારા તબીબ દ્વારા પૂરી પાડવામાં આવેલી તબીબી સલાહની જગ્યા લઈ શકતી નથી.